#bookreview #gujrati



પુસ્તકનું નામ:"નાનકડી વાતો જીવનની."
લેખક:મીના એચ.શાહ
કિંમત:૧૬૫ રૂપિયા.


સમય સાથે માણસ બદલાય છે યુવાનીથી વૃદ્ધત્વ તરફ જાય છે અને આ ગાળા દરમિયાન માત્ર તેની ઉંમરમાં કે જવાબદારીઓમાં જ નહિ પણ લાગણીઓમાં પણ ઘણા બદલાવ આવતા હોય છે.આ એક સત્ય છે. પરંતુ બીજુ સત્ય એ પણ છે કે ઉંમરના કોઈપણ પડાવે એક લાગણી જે સનાતન રહેતી હોય છે એ છે પ્રેમ અને વહાલ મેળવવાની.

ઉંમરના અલગ અલગ પડાવ પર કદાચ તેને જોવાની કે મેળવવાની રીત જુદી જુદી હોય પરંતુ દરેક પડાવ પર પ્રેમ,વહાલ હૂંફની ઝંખના દરેક વ્યક્તિને રહેતી હોય છે આ સત્યને સાબિત કરતું અથવા કહી શકાય કે સમજ આપતું પુસ્તક એટલે મીના એચ.શાહ દ્વારા લખાયેલ "નાનકડી વાતો જીવનની."

કલાને ક્યારેય કાટ નથી લાગતો.જવાબદારીઓની ધૂળ ખંખેરતા જ કલા સજીવન થઈ જાય એ વાતને સાચી સાબિત કરતા મીના શાહે જીવનનો એક પડાવ પૂરો કર્યા બાદ કલમ પકડી જીવનના અલગ અલગ તબક્કે વ્યક્તિની બદલાતી લાગણીઓ અંગેના અનુભવની વાત આ પુસ્તકમાં કરી છે.

કુલ ૩૦ જેટલી ટુંકી વાર્તાઓ તેમજ ૮ જેટલી માઇક્રોફિકસનથી સજેલી આ પુસ્તકની જીવનસાથી નામની વાર્તામાં પિતા પુત્રીનો પ્રેમ છે તો જીવન પ્રવાસ નામની વાર્તામાં સંતાનના જીવનમાં માતાપિતા બંનેના મહત્વની વાત છે.

"એકરાર", "ચાંદી કી દીવાર" નામની વાર્તા યુવાનીના પ્રેમ વિશે સમજાવે છે તો સાચો વેલેન્ટાઇન અને આદત પતિ પત્નીના જીવનમાં પ્રેમ અને હૂંફની હકીકત સમજાવે છે.

" બાનું લોકડાઉન" અને "સિક્કાની બે બાજુ" નામની વાર્તાઓ આજના યુગમાં સાસુ વહુ વચ્ચે થતી ગેરસમજણ થી થતા ઝઘડાઓ વિશે સમજાવે છે."નાનકડી વાતો જીવનની"આ કોઈ અસાધારણ કિસ્સાઓ કે વાર્તાઓનો સંગ્રહ નથી.

પુસ્તકની દરેક વાર્તા જીવનના કે લાગણીઓના એ મુદ્દાઓ પર આધારિત છે જેને દરેક વ્યક્તિ સમજતો હોવા છતાં અવગણી લેતો હોય છે.તેમાં પણ મને સૌથી વધારે ગમેલી વાર્તા "અલ્ઝાઇમર" તેમજ "૨૦૫૦ની નારી"આજના યુગમાં નવો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે.

પુસ્તકની સારી વાત એ છે કે કોઈપણ વાર્તા ૨ પેજથી વધુ નથી તેમજ ભાષા પણ એકદમ સમજાય તેવી સરળ છે.

insta-divyamodh96 (diya's poetry)

Gujarati Book-Review by Divya Modh : 111830835

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now