એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે,
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર - વાર વેચે છે.
એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે,
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો - કિલો વેચે છે.
એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે,
અને માણસ ફૂટી જાય ત્યારે
થોડી - થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહિ,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઉધઈ
બીજુ એને ભાવતું નથી
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!!
- પ્રિયકાન્ત મણિયાર