કોઈ આવીને પૂછી જાય 'નારાજ છો તું...". જવાબમાં શુ કહેવું મારે....??? એ જ ને કે માણસ તરફ થોડી અપેક્ષા થાય અને એ અપેક્ષા પુરી ન થાય એટલે થોડી ઉદાસી આવે. હું માણસ છું ભગવાન નથી કે બધું એમ જ મળી જાય અને હા, ભગવાનને પણ લાગણી અને પ્રેમ માટે ધરતી પર આવવું પડ્યું હતું. તો હું તો માણસ છું....
શુ કારણ છે મારી આ બેચેનીનું...? એકાંતમાં રહીને ખુદને જ પૂછી રહ્યો છું. ખુદ સાથેનો આ સંવાદ છે અથવા એકાંતમાંથી નીકળેલા વિચારોનું આ જુન્ડ છે. ખુદને આ દુનિયાથી અલગ રાખવાની ખૂબ કોશિશ કરી છે. છતાં તેમાં ભળવું પડ્યું છે. અનેક સંબંધને નિભાવવા પડ્યા છે. રક્તની શાહી બનાવીને હરેક ક્ષણોને મેં લખી છે. યોગ હોઈ કે વિયોગ હોઈ તમામને મેં શબ્દોમાં જગ્યા આપી છે.
ઘણા સંબંધ મળ્યા છે, ઘણા છૂટી ગયા છે, ઘણા કદાચ બનશે, ઘણા બનેલા છે એમાંથી વિખુટા થશે, થોડું દિલ બેચેન બનશે, થોડી ખુશીની પાનખર આવશે, આંસુની અગન જ્વાળા વર્તમાનને જલાવી રહી હશે. આવું કેમ બને છે, હું કઠોર છું છતાં આ તમામ બાબતને કેમ અનુભવી રહ્યો છું. કારણ કે ઘણાને લાયકાત કરવા વધુ જીવનમાં સ્થાન આપ્યું છે. ઘણા ને ખુદના માની મેં મારા અસ્તિત્વ સાથે ચેડાં કર્યા છે...
તમામ સ્થિતિના કારણમાં હું જ રહ્યો છું. હા, હું જ છું, જેને જીવનમાં અનેક સંબંધનું સર્જન કરી જીવનનું નિકંદન કાઢ્યું છે. સળગતા અંગારને સામે ચાલી મેં જ દિલમાં ભર્યા છે હવે દિલ દાઝે તો ખરું જ ને. હું નિરાશ છું, હું ઉદાસ છું, હું વ્યથિત છું એના કારણમાં હું જ છું. જીવનમાં સંબંધના માપદંડ હોતા નથી પણ બદલતા વિચારો અને વ્યવહાર જોઈ માપદંડ નક્કી કરવા રહ્યા, નહિતર ખુદ સાથે જ લડીને માણસ ખતમ થઈ જશે...
મનોજ સંતોકી માનસ