ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં કાગવડ નજીક ખંભાલીડા ગામે આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે ર૦ કી.મી. જેટલા અંતરે આવેલી છે. આ ગુફાઓ ભાદર નદીનાં કાંઠે આવેલી છે.
ખંભાલીડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો છે.
જાણીતા પુરાતત્વશાસ્ત્રી પી. પી. પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઈ.સ. ૧૯૫૮માં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી. હાલમાં તેની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે. આ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે. અહીં ત્રણ ગુફાઓ આવેલી છે, જેમાંની મધ્યની ગુફા સ્તૂપ ધરાવે છે, જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે. ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે. ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મપાણિની છે. તેની ડાબી બાજુએ વક્ષ જેવો વામન હાથમાં છાબડી સાથે ઊભો છે. જમણી બાજુની મૂર્તિ વજ્જપાણિની છે, જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યો સાથેની છે. સ્ત્રીની મૂર્તિ જુનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવો પહોળો પટ્ટો ધરાવે છે. તે કુષાણ-ક્ષત્રપના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે. આ ગુફાઓ ૪થી ૫મી સદીની મનાય છે.
ડાબી બાજુએ એક ઊંડી અને વિશાળ ગુફા આવેલી છે, જેનું પ્રવેશદ્વાર ખૂલ્લું છે. તે કદાચ સાધુઓના ધ્યાન માટે વપરાતી હોઈ શકે છે.
ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત 'ખુશ્બુ ગુજરાતકી'ની ડોક્યુમેન્ટરીમાં પણ આ ગુફાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાં ત્રીજા તબક્કાના શૂટિંગ માટે શ્રી અમિતાભ બચ્ચન ત્યાં ગયા હતા. તેમણે સવારના સાતથી સાંજનાં છ વાગ્યા સુધી અહીં શૂટિંગ કર્યું હતું, અને રાત્રે કાઠીયાવાડી ભોજન લીધું હતું.
એવું માનવામાં આવે છે કે ત્રીજી સદીના અંત અને ચોથી સદીની શરૂઆતમાં ગિરનાર પર્વત પર વિહાર કરતા બૌદ્ધ સાધુઓ જંગલ માર્ગે ખંભાલીડા પહોંચ્યા હતા. તે સમયે ખંભાલીડા એ ગીરનું પ્રવેશદ્વાર ગણાતું હતું. ગીરનો વિસ્તાર ચોટીલા સુધી વિસ્તરેલો હતો. આટલું લાંબું અંતર સળંગ કાપવું શક્ય નહોતું. એટલે કદાચ બૌદ્ધ સાધુઓના વિશ્રામ માટે આ ગુફાઓ બનાવવામાં આવી હશે.
આમ, આ ગુફાઓ અજંતા - ઈલોરાની ગુફાઓ કરતાં પણ વધારે પ્રાચીન છે.