મેં એક પારિજાત ઉછેર્યું અાંગણામાં,
જગા ઓછી પડી,
આવી ગયું મારી દિલમાં.
પસારો એનો મોટો,
વળી સોબતનું ય ભૂખ્યું.
આસપાસ જૂઇ,ટગર,કરેણ,
દસ હાથ છેટે મોગરો. તો ય
સંગત ઓછી પડે!
સુગંધિતડાળો નીચી નમાવે,લંબાવે ને
બધાને બોલાવે ને પેલાં પક્ષીઓ!
એને સોબત આપવા આવે,
કેટલાક મળીને જતાં રહે
પણ કેટલાક પરોણા તો રહી જ પડે.
પારિજાત ટોપલી બનાવવા પાના આપે,
જુઇ પડોશણ જગ્યા આપે.
પછી બચ્ચાંઓને સાચવવા પડે.
આઘાપાછાં થાય તો ય ઉપાધિ!
પારિજાત મરજી પડે એમ ફુલો ખીલવે અને ખેરવે.
આપણું કાંઇ ચાલે?
નવરાત્રિના દિવસોમાં એને ફૂલોથી ઢંકાયેલું જોઇ બધાં
વખાણ કરે ત્યારે 'એમ વાત છે ત્યારે !' એવા ભાવથી
મારી સામે જુવે.
મને થાય કે 'હરસિંગાર 'છે, કૃષ્ણનું માનીતું છે ભાઇ!
તારી વાત થાય?