આ બે વર્ષ પહેલાં લખ્યું હતું.. અને આજે પણ એટલું જ સાચું છે.. કઈ બદલાયું નથી.....
ખરેખર આજે ભારતીય હોવા ઉપર મને ખુબ જ ગર્વ થાય છે, ગઈકાલ સુધી મેં કલ્પના પણ નહોતી કરી કે રાતોરાત આ દેશ આટલો બધો બદલાઈ જશે, સવારે ઉઠતાની સાથે સોશિયલ મીડિયાની દરેક એપ્લિકેશન ખોલતા હજારો પોસ્ટ જોવા મળી, દરેકના દિલમાં દેશભક્તિ ઉમટી આવી હતી, રોડ ઉપર તિરંગો વેંચતા બાળકો હોય કે પછી કોઈ ઝૂંપડપટ્ટીમાં કે છેવાડાના વિસ્તારમાં ઘ્વજવંદન થતું હોય તેના ઉપરની હજારો પોસ્ટ આજે એક જ દિવસમાં જોવા મળી ગઈ.
બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેક વ્યક્તિ આજે આઝાદીના પર્વમાં દેશના રંગે રંગાયેલું દેખાયું, મારા કોન્ટેક્ટના 95% લોકોના ડીપીમાં તિરંગો હતો. પાંચ ટકા કદાચ મારા જેવા વિચારો વાળા હશે અથવા એમને સમય નહિ મળ્યો હોય, પણ કહેવાનું મન એજ થાય કે દરેકના મનમાં આટલી દેશભક્તિ ભરેલી પડી છે અને ગરીબો, સૈનિકો, પોલીસકર્મીઓ, માટે તેમના દિલમાં સન્માન છે તો પછી દેશમાં તકલીફો શું કામ ઊભી થાય છે ?
નેતા - અભિનેતા, તમે જેને અત્યાર સુધી આદર્શ માન્યા હશે એ લોકો, રેડીઓના જોકી, ગામના સરપંચથી લઈને દરેક સરકારી અધિકારીઓએ આજના દિવસે ઘણી જ મોટી મોટી વાતો કરી હશે, તમને દેશભક્તિ વિશે જ્ઞાન આપ્યું હશે, ઘણા ફિલ્મ મેકરોએ આજના દિવસ માટે સુંદર મઝાના હિન્દૂ મુસ્લિમ ની એકતા દર્શાવતા વિડીઓ પણ બનાવ્યા હશે, અને આપણે હોંશે હોંશે એ વિડીઓ, સારા વિચારો, સારા ફોટોગ્રાફ ને શૅર પણ કર્યા હશે.
આજના દિવસે હજારો લોકોએ પ્રતિજ્ઞા લીધી હશે દેશના માન સન્માન ને જાળવવાની, ટ્રાફિકના નિયમો પાળવાની, દેશને સ્વચ્છ રાખવાની, દેશના સંવિધાન ને જાળવવાની, બહેન દીકરીની ઈજ્જત કરવાની, વડીલોને માન સન્માન આપવાની, લોકોને તેમના હક આપવાની તો પછી આવતી કાલથી બધું બદલાઈ જશે ખરું ??? આવતી કાલથી આ દેશને હું એક નવી નજરથી જોઈ શકીશ ખરો ? કે પછી હતું એનું એજ રહેવાનું છે ?? આ બધું બસ ખાલી કહેવા માટે અને લોકોને બતાવવા માટે જ હતું ?? કે ખરેખર આજના દિવસે લીધેલા પ્રણ, આજના દિવસે જન્મેલી દેશભક્તિ દેશ માટે સાર્થક થશે !!!
રાહ હું આવતી કાલની જોઉં છું.... જો કાલે મારો દેશ બદલાશે તો હું આજે થેયેલી આઝાદ દિવસની ઉજવણીને સાર્થક ગણીશ.
- નીરવ પટેલ "શ્યામ"