દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ને કોઈ વસ્તુ કે બાબત માટે લાલચ તો રાખે જ છે. લાલચ રાખવી એ સારી વાત નથી, પણ એનાં વગર રહેવું પણ શકય નથી. આપણે આપણાં મન પર કાબુ રાખી શકીએ પણ લલચાયા વગર તો ન જ રહી શકીએ.
એક નાનું બાળક ચોકલેટ, મીઠાઈ કે પછી નવા નવા રમકડાં જોઈને લલચાય છે. એ એને લેવાની જીદ કરે છે અથવા તો જોઈને પોતાનો જીવ બાળે છે. બધાં જ બાળકોના માતા પિતા કંઈ એવી પરિસ્થિતિમાં નથી હોતા કે પોતાના બાળકની જીદ પૂરી કરી શકે.
આજ કાલ પ્રસાર માધ્યમોમાં ઘણી બધી વસ્તુઓ એવી રીતે પ્રદર્શિત થતી હોય છે કે ગ્રાહક એનાં પ્રત્યે લલચાય અને એને ખરીદે. એમનું કામ જ છે પોતાની વસ્તુઓને એવી રીતે રજુ કરવી કે જેથી એને જોનાર લલચાઈ જાય અને ખરીદી લે. આપણને ખબર હોવી જોઈએ કે જે લાલચ આપણે રાખી છે તે વસ્તુ આપણને જરુર છે કે નથી. લાલચમાં આવી જઈને પોતાને આર્થિક નુકસાન કરવાનો કોઈ જ અર્થ નથી. એ વસ્તુઓ માત્ર ઘરનાં એક ખૂણામાં પડી જ રહેવાની છે.
ઘણી વાર કોઈ 'સ્કીમમાં ભાગ લો અને અમુક રકમ જીતો' જેવી લોભામણી જાહેરાતો આવે છે કે પછી મેસેજ આવે છે. જે વ્યક્તિ લાલચમાં આવી જઈને આવા લોકોનો સંપર્ક કરે છે, તેણે કેટલીક વાર ફાયદાને બદલે આર્થિક નુકસાન વેઠવું પડે છે.
લાલચ તો માત્ર પ્રેમમાં જ રાખી શકાય. જેટલો વધારે મળે એટલો ઓછો જ પડે. પ્રેમમાં રાખેલી લાલચ ભાગ્યે જ નુકસાન કરતી હોય છે.
#લલચાવવું