એકલતાથી એકાંત તરફ...
મારા મતે....
એકલતા અને એકાંત બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે. એકલતા લોકો દ્વારા, સમાજ દ્વારા, અથવા પોતાના પરિજન દૂર થવાના કારણે, કોઈ પરિસ્થિતિ દ્વારા આપણને કોઈ ચોક્કસ માનસિક પરિતાપમાં ધકેલી દેવાની સ્થિતિને એકલતા કહેવાય છે. જ્યાં માણસ અસ્થગિત સમય સુધી નકારાત્મક પ્રવૃત્તિઓ અને હતાશાના વલણમાં પડ્યો રહે છે. એની ચારે બાજુ સારું થતું હોવા છતાં નકારાત્મક ની લાગણી થતી રહે છે. કોઈ હાથ લંબાવશે, મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે તેની રાહમાં પોતાની જાતને જરાય બળ પુરૂ પાડતો નથી. માણસને ટોળામાં પણ અશાંતિનો અનુભવ થાય એ એકલતા.
કોઈ ને મારી જરૂર નથી, કોઈ મારું નથી, કોઈ મને સમજતું નથી, હું મારા દિલ ની વાત કોને કહું? મારાથી હવે કંઈ જ ન થાય. લોકો મને જેવો સમજે છે હું બરોબર એવો જ છું, હું હાર માનું છું, જિંદગીથી કંટાળી ગયો છું, થાક્યો છું, આ બધું જ ને આવું તો કેટલુંય એકલતા ની વ્યાખ્યા આપી જાય છે.
પરંતુ આ બધા નું ચિંતન મનન કરી એમાંથી જરા અમસ્તો પ્રકાશ દેખાય તો માણસે પોતાને એ એકલતાની સાંકળ માંથી છૂટવા અથાક પ્રયત્નો કરવા જોઈએ. એ પ્રયત્નો થકી જે માર્ગ મળે, મારા મતે તે ચોક્કસપણે એકાંત તરફ જવા પ્રેરે છે.
એ એકલતાના સમયનું મૌન એકાંતમાં મોજ કરાવી જાય છે. અને ત્યારે જ સમજાય છે મૌનનું મહત્વ. ત્યારે જ સમજાય છે કે શબ્દો કરતાં મૌન નું પલડું કેટલું ભારી હોય છે.
એકાંત એ માણસે પોતે પસંદ કરેલ અવસ્થા છે. જેમાં ફક્ત અને ફક્ત સકારાત્મક અભિગમ અને નિજાનંદની લાગણીઓના ઉભરા હોય છે. એને ટોળામાં પણ શાંતિ જ વર્તાય છે. અમારા-મારા- આપણા- હું થી સ્વ તરફનો માર્ગ એ જ એકાંત. એકાંત એટલે પોતાની જાત ને એકલા રાખો અથવા તો કોઈ શાંત સ્થળે પલાઠી વાળી આંખ બંધ કરીને બેસી જાઓ એવું જરાય નથી. કારણ આ પરિસ્થિતિ તો એકલતામાં પણ સ્વાભાવિક છે. એકલતામાં "હું" ની ઓળખ થાય છે અને એકાંત માં "સ્વ" ની ઓળખ થાય છે. બીજાને ઓળખવાનું તો ઠીક પોતાને થોડું-ઘણું ઓળખીએ તો પણ ઘણું. પોતાનામાં રહેલા ગુણ તો સૌ કોઈને દેખાય છે. પણ, દુર્ગુણનો સામનો તો એકાંતમાં જ થાય છે. એકાંત સ્વની શોધ તરફ સુખરૂપે લઈ જાય છે. કદાચ આજ સ્વની શોધ ઈશ્વર સમીપે લઈ જતી હશે. એકાંત સ્વ- સુખ,
સ્વ - બળ, સ્વ- શાંતિ, સ્વ- ભાવ, વગેરે, વગેરે.. અને આવું તો ઘણું પોષે છે.
ટોળામાં રહેવા ટેવાયેલા વ્યક્તિને એકલતાનો અનુભવ સૌથી વધારે થાય છે પરંતુ એ જ એકલતા પરિસ્થિતિને અનુકૂળ થઈ એને એકાંતના સુખ તરફ દોરી જાય છે. આ એક એવી અદ્રશ્ય શક્તિ છે જે તમને જોરદાર, ચોટદાર, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી અને આત્મસુખ ના ઢગલામાં મૂકી જશે.
અહીં કવિ શ્રી હિમલ પંડ્યાની પંક્તિ લખવી ગમશે..
લાગશે ના ક્યાંય પણ ક્યારેય ખાલી
એકલા હોવું ય છે જાહોજલાલી.
કિંજલ દિપેશ પંડ્યા (કુંજદીપ)