સુશોભન શબ્દ જ એવો સુંદર અને શુભ છે કે તેને સાંભળતા કે વાંચતા જ દીલ અને દિમાગ શુભ મંગલ ભાવથી તરબતર અને સુશોભિત થઈ ઉઠે છે. ખરેખર તો બાહ્ય સુશોભન એટલે કે make up કરતા માણસના મનમાં રહેલું આંતરિક સુશોભન એટલે કે અંતરના સદગુણો જ માણસની સાચી શોભા છે અને માણસની સાચી કિંમત તેના બાહ્ય સુશોભનના બદલે તેના આંતરીક ગુણો જેવા કે કરુણા, પ્રેમ, ઉદારતા, ક્ષમા, દયા, પ્રેમ, વાત્સલ્ય સત્ય, અહિંસા, અસ્તેય, જાત મહેનત, અપરિગ્રહ, સમાનતા વગેરેથી થવી જોઈએ. મિથિલા નરેશ જનક વિદેહીના દરબારમાં બ્રહ્મ ચર્ચા અર્થે ભરાયેલ વિદ્વદજનોની સભામાં જેનાં શરીરના આઠેય અંગો વાંકા હતા તેવા મુનિ શ્રી અષ્ટાવક્ર પધાર્યા ત્યારે સર્વ સભાજનો તેમને જોઈને હસવા લાગ્યા ત્યારે અષ્ટાવક્ર બોલ્યા કે આ તો ચર્મકારોની સભા લાગે છે ત્યારે મહારાજા જનકે પુછ્યું કે બાપજી, કેમ એવું કહો છો? ત્યારે અષ્ટાવક્ર બોલ્યા કે આ સૌ મારા શરીરના બાહ્ય દેખાવ-ત્વચા /ઘાટને જોઈને ઉપહાસ કરે છે ખરેખર તો વ્યક્તિનું મૂલ્ય તેના આંતરિક ગુણો કે વિદ્વતાથી થવું જોઈએ. //નો ડાઉટ કે બાહ્ય સુશોભનની પણ એક કિંમત છે જ પરંતુ તે એક હદ સુધી જ. સ્વચ્છતા અને સુંદરતા સૌને ગમે છે પણ તે સાદાઈ યુકત હોય તો તેની શોભા ઓર ખીલી ઉઠે છે. બહુ વધારે પડતું સુશોભન કે બાહ્ય ભપકા કે મેક અપના થપેડાથી મન ઊબાઈ જાય છે. એટલે જે સુશોભન સાદગી અને સફાઈ યુક્ત અને કુદરતી હોય, હળવું હોય તે સૌને ગમે છે.
#સુશોભન