આજની કથા-
એક જહાજ હતું. એનો માલિક જ એનો સંચાલક હતો. એ બધાને પ્રવાસમાં લઇ જાય અને કમાય પણ ખરો. તે પ્રામાણિક હતો. એકવાર સો-દોઢસો યુવક-યુવતીઓ, કોઈ ટાપુ પર રજાના દિવસોમાં ઉત્સવ મનાવવા જાય છે. જહાજનો માલિક - કપ્તાન- તે વખતે આંખો બંધ કરી અને ભીતરથી સ્તુતિ કરે છે- પ્રાર્થના કરે છે. એ વખતે શિક્ષિત એવા યુવાન યુવતીઓ તેની મજાક કરે છે. મેણાં મારે છે. પણ એ વ્યક્તિ પોતાની પ્રાર્થના છોડતો નથી.
૧૫ મિનિટ પછી એની પ્રાર્થના પૂરી થાય છે. થોડી વાર પછી સમંદરમાં તોફાન ઊઠે છે. એવી લહેરો ઉઠે છે કે જહાજ હમણાં જ ડૂબી જશે એવું લાગે છે. કપ્તાન બહુ જ ગંભીરતાથી અને પોતાની કુશળતાથી જહાજ ચલાવી રહ્યો છે.
બધાજ યુવક-યુવતીઓ ચીસાચીસ કરે છે. થોડા સમય પહેલાં હંસી- મજાક કરનારા સહુ, અત્યારે પ્રાર્થનારત થઈ ગયા છે. તેઓ કપ્તાનને કહે છે કે 'તમને આવી સ્થિતિમાં કંઇ થતું નથી? તમે પણ અમારી સાથે પ્રાર્થના કરો.'
કપ્તાન પોતાના જહાજ ચલાવવાના કાર્યમાં મગ્ન છે. યુવક યુવતીઓ એને બહુ કહે છે, ત્યારે એ જવાબ આપે છે કે પ્રાર્થના તો એણે પહેલાં કરી લીધી. હવે પ્રતીક્ષા કરો. જ્યારે સારો સમય હોય, ત્યારે પ્રાર્થના કરવી જોઈએ. અને વિષમ સમયમાં પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
' દુઃખમેં સુમિરન સબ કરે,સુખમેં કરે ન કોઈ
જો સુખમેં સુમિરન કરે, તો દુઃખ કાહે હોય!'
અંતે એ જહાજ સહી સલામત કિનારા પર લાંગરે છે. સહુ બચી જાય છે.
આપણે પણ દુનિયાના આ સુંદર જહાજને કોઈ સાહિલ મળી જાય એ માટે જવાબદારી પૂર્વક આગળ વધીએ. ઘણી વખત જીવવું, એ જ કસોટી થઈ જાય છે!
क्युं हमें मौत के पेगाम दिये जाते है।
यह सजा कम है कि जिये जाते है।। આવો, આપણે પ્રાર્થના કરીએ અને પ્રતિક્ષા કરીએ!
કાલે રામનવમી છે-પરમ તત્વના પ્રાગટ્યનો દિવસ છે. દેશવાસીઓ અને દુનિયાને- સહુને- પરમ વિશ્રામ દેનારા પરમ તત્વના પ્રાગટ્ય દિવસની વધાઈ પાઠવીને બાપુએ આજનાં કથા- સત્સંગને વિરામ આપ્યો.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏