#MoralStories
'શ્રદ્ધા - અંધશ્રદ્ધા'
"જલ્દી કોઈ ડૉકટર ને બોલાવો." શાંતા બહેને ડરથી ચિલ્લાતા કહ્યું.
"ના ના એની કોઈ જરૂર નથી હું તેનો ઇલાજ કરીશ"શાંતા બહેનના પતિ જગદીશે કહ્યું.
જગદીશ બે થી ત્રણ વરસ કોઈ સાધુ બાવા ભેગો રહીને પોતાના ગામમાં પાછો ફર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી તે અંધશ્રદ્ધા ના જોરે ગામે ગામ ના લોકો પાસેથી ઘણા રૂપિયા બનાવી ચૂક્યો હતો.
ભૂત ભગાડવા,તાવ ઉતારવા જેવા અનેક કાર્યથી તે આજુબાજુના ઘણા ગામોમાં નામના કમાઈ ચૂક્યો હતો.
હવે તો ધીમે ધીમે તે પોતે પણ અંધશ્રદ્ધા ના સિકાંજમાં આવી ગયો હતો તેને પણ લાગવા લાગ્યું હતું કે લોકો તેના લીધે જ સાજા સારા થાય છે.
તેની પત્ની શાંતા ને તેના પતિનું આવું વર્તન જરા પણ ગમતું ન હતું તેથી તે અવાર નવાર તેના પતિને આ ધતિંગ બંધ કરીને મહેનત કરી ને કમાવાનું કહેતી પણ જગદીશ ક્યારેય પણ તેનું સાંભળતો નહીં.
હવે એક વખત બન્યું એવું કે મંદિર માં દાખલ થતા સમયે તેના એક ના એક પુત્રને સાપે ડંખ માર્યો.
શાંતા એ ડૉકટર પાસે જવાનું કહ્યું પણ જગદીશે કહ્યું કે મારા પુત્રનો ઈલાજ હું જ કરીશ.
આખી રાત તે તેના પુત્ર પાસે પિત્તળ ના નાગ ની પૂજા કરતો રહ્યો પણ આખરે તેનો પુત્ર સાપના ઝેર ના કારણે મૃત્યુ પામ્યો.
શાંતા ના રૂદન થી વાતાવરણ કરૂણ બની ગયું.રડતા રડતા તે કહેવા લાગી કે ડોકટર પાસે લઈ ગયા હોત તો મારો દીકરો જીવિત હોત.
જગદીશ ને પણ ખૂબ જ પસ્તાવો થયો અને નક્કી કર્યું કે આજ પછી તે આવા ધતિંગ છોડીને મહેનત થી જીવશે અને અંધશ્રદ્ધા છોડી દેશે અને બીજા લોકોને પણ અંધશ્રદ્ધા થી દુર રાખશે.