ભાગ-૧૯
ભાનુપ્રતાપ એના માણસો સાથે જયારે બારામતી હોસ્પિટલ પર પહોંચે છે, ત્યારે સાંજ ના ૪ વાગ્યા હોય છે. પોતાના માણસો ની હાલત જોઈ તે વ્યથિત બને છે, અને થોડો ક્રોધિત પણ થાય છે. તે રઘુ ને પૂછે છે કે આ કઈ રીતે બન્યું?. રઘુ જવાબ દે છે કે પવન ગવળી મુંબઈ અંડરવર્લ્ડ નો ડોન છે. તે લોકો પૈસા લઈને કોઈપણ કામ કરી આપતા હોય છે. રોહિત બાપટ અને મોહિત કુલકર્ણી પાસે ચિક્કાર રૂપિયા છે, અને રૂપિયા દઈને તે લોકોએ આ કામ કરાવ્યું છે. ભાનુપ્રતાપ કહે છે કે ખાલી ૨ છોકરા ને માર્યા, એમાં આ લોકો અંડરવર્લ્ડ ને વચ્ચે લાવ્યા, એક તો પોતાના છોકરાઓ ને એ લોકો એ સમજાવવા જોઈએ, કે સાચું શું છે અને ખોટું શું છે, તેની બદલે આ લોકો પોતાના છોકરાઓ ના ખોટા કામ ને ઉતેજન આપે છે. રઘુ કહે છે કે આ કેસ માં મરાઠે કેમ શાંત છે? મરાઠે ને તો તેણે બપોરે જ ફોન કર્યો હતો. ભાનુપ્રતાપ તરત મરાઠે ને ફોન લગાડે છે. અને પૂછે છે કે આ કેસ માં તેણે કોઈ ને પકડ્યા કે નહિ? મરાઠે જવાબ દે છે કે તમારા માણસો એ મનન અને નયન ને ખુબ માર્યા, બદલો લેવા રોહિતે અને મોહિતે પવન ગવળી ની મદદ લીધી, તમે બધા પોલીસ અને કાયદા ને મજાક સમજો છો. પવન ગવળી કે એના માણસો વિરુદ્ધ જો એક સાક્ષી તમે લાવો તો હું હમણા પવન ગવળી અને એના માણસો ને પકડું, ખાલી ફરિયાદ ને આધારે એને પકડશું, તો એના વકીલો એટલા કાબેલ છે કે ૨ કલાક માં એને છોડાવી લેશે. મરાઠે આગળ કહે છે કે આંખ ની બદલે આંખ, હાથ ની બદલે હાથ, આવી નીતિ થી તો દુનિયા નો અંત આવી જાય, તમે મંત્રી છો માટે હું તમને કહું છુ કે તમે આ કેસ માં તમારી રીતે આગળ વધવાને બદલે પવન ગવળી વિરુદ્ધ પુરાવાઓ આપો, અને આ મામલા નો અહીં અંત આણો.
***************************************************************************
સવારે મિતાલી એ દેવ ના કુટુંબ ના બધા સભ્યો સાથે વિડિઓ કોલ પર વાતચીત કરી હોય છે. પછી સાંજે પાછા એ લોકો વાતો એ વળગ્યા હોય છે. મિતાલી ને મહેન્દ્ર અને ધ્રુવી સાથે વાત કરવાની ખુબ મજા આવી હોય છે. તે દેવ ને મજાક માં કહે છે કે દહેજ માં એને મહેન્દ્ર અને ધ્રુવી જોઇએ. દેવ જવાબ દે છે કે દહેજ તો એણે લેવાનું હોય, મિતાલી કહે છે કે નહિ, જમાનો બદલાઈ ગયો છે. હવે છોકરીઓ દહેજ માંગશે, અને ઘર અને બહાર છોકરીઓનું જ રાજ ચાલશે. દેવ કહે છે કે મણિપુર અને નાગાલેન્ડ માં અમુક જાતિઓમાં એવી પ્રથા છે, અને એને, તે પ્રથા અપનાવવી ગમશે. દેવ કહે હું રસોઈ બનાવીશ,કપડાં ધોઈશ, નાસ્તા બનાવીશ, શાકભાજી ખરીદીશ અને છોકરાઓ ને પણ મોટા કરીશ,અને એટલું જ નહિ, સાંજે તારી રાહ પણ જોઇશ. મિતાલી ખડખડાટ હસી પડે છે. મિતાલી હસતા હસતા કહે છે કે તો હું કમાઈશ અને તારું અને છોકરાઓ નું રક્ષણ કરીશ. હવે દેવ હસી પડે છે. એ કહે છે કે, તો પછી લગ્ન નું માંગુ લઇ ને તું અને તારા પપ્પા-મમ્મી અહીં પૂર્વ ચંપારણ આવજો. પછી મિતાલી થોડી ગંભીર થઈને ને કહે છે કે એને ૧ વચન જોઈએ છે. દેવ કહે, શું? મિતાલી આદ્ર સ્વર માં કહે છે કે, કાલે જીવન મા ભલે કોઈ પણ પરિસ્થિતિ આવે, તું કોઈ દિવસ મારધાડ નો કે અપરાધ નો રસ્તો નહિ લે, અને તું રાજકારણ મા પણ નહિ પડે. દેવ કહે છે કેમ આવું વચન? શું એ પોતે જરાય ભરોસા લાયક માણસ નથી? મિતાલી કહે છે કે, તેના મોટા ભાઈ નું અત્યારે જે સ્થાન છે, તેને કારણે આ વચન માંગે છે. દેવ જવાબ દે છે કે એના મોટાભાઈ ની પ્રવૃતિઓ એને નહોતી ગમતી,એટલે તો એ ઠેઠ મુંબઈ સુધી ભણવા આવ્યો, અને તેણે મુંબઈ મા પણ નોકરી કરી. જો તેને માર ન પડ્યો હોત, તો એના મોટાભાઈ, કદાચ ચિત્ર મા આવત જ નહિ. મિતાલી છતા પણ વચન માટે હઠાગ્રહ કરે છે, એટલે ભવિષ્ય થી બેખબર દેવ મિતાલીને વચન આપે છે કે એ કોઈ દિવસ એના ભાઈ નો રસ્તો નહિ લે. પછી બંને બીજી વાતો એ વળગે છે.
******************************************************************
ભાનુપ્રતાપ રઘુ સાથે રાત ના સમયે ચર્ચા કરવા બેસે છે. રઘુ તેને માહિતી આપે છે કે, આ અંડરવર્લ્ડ ના લોકો માત્ર ગોળી ની જ ભાષા સમજે, અને રૂપિયા કમાવા તેઓ ડ્રગ ની દાણચોરી થી માંડી ને દેહ ના સોદા જેવા ઘૃણિત કામો પણ કરે છે. તમે બળ થી કામ લેશો, તો એ લોકો બળ થી જ જવાબ દેશે, એના કરતા તમે એમને રૂપિયા આપો તો એ મોહિત અને રોહિત ને પણ મારશે. તેઓને તો બસ રૂપિયા સાથે મતલબ હોય છે. અને જો તમે સરખા રૂપિયા એમને આપશો, તો એ લોકો રોહિત અને મોહિત ને એવા ઠમઠોરશે કે એ જિંદગીભર તમારું કે દેવ નું નામ નહિ લે. અને મનન અને નયન ને માફી માંગવા પણ મજબૂર કરશે.જો તમે કંઈ નહિ કરો તો રોહિત અને મોહિત પોતે જે કર્યું છે તે જ સાચું માનશે, અને કાલે મનન અને નયન દેવ પર પણ હુમલો કરાવી શકે. ભાનુપ્રતાપ કહે છે કે મરાઠે કહે છે એમ, સબુતો ભેગા કરીને પવન ગવળી ને પોલીસ મા પકડાવીએ, તો?(એને સુહેલદેવી ની સલાહ યાદ હોય છે, અને મરાઠે એ પણ સવારે એ જ વાત કરી હોય છે). રઘુ ના પાડે છે, એ કહે છે, તમે ગમે એટલા પુરાવાઓ આપો, એ લોકો કોર્ટ માં થી છૂટી જશે, તેમને વકીલો અને રાજકારણીઓ બેય નું પીઠબળ હોય છે. ભાનુપ્રતાપ કહે છે કે એને એવી પરિસ્થિતિ નથી જોતી કે મુંબઈ અંડરવર્લ્ડ અને બિહાર ના બાહુબલીઓ સામ-સામે હોય. તે રઘુ ને સૂચના આપે છે કે પવન ગવળી સાથે કાલે ૧ મિટિંગ ગોઠવે,પછી બંને સુઈ જાય છે.
ક્રમશ:
પ્રિય વાચકો , આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.