સિઝનની આખરી રમત રમાઈ ચુકી છે. છેલ્લો દડો નંખાઈ ગયો છે. ક્રિકેટબેટ તેલ લગાડી ને થાક ખાવા અને તાજા થવા મુકાઈ ગયા છે. અને લોર્ડ્સ નું એ ગ્રાન્ડસ્ટેન્ડ ખાલી અને ઉદાસ ભાસે છે. અમે ક્રિકેટને અલવિદા કિધી છે. અને અમે ભારે હૈયે ક્રિકેટના મહારાજા ને પણ અલવિદા કીધી છે.

આવતી વસંતે જ્યારે વૃક્ષો લેહરાશે અને મેદાનોમાં તાજું કુમળું ઘાસ ઊગી આવશે ત્યારે ક્રિકેટની રમત ફરી પાછી રમાશે પણ રમતનો રાજા હવે મેદાનમાં નહીં ઉતરે! જામ સાહેબ હવે ચાલીસના થયા. ઓહો! જામ સાહેબ શરીરે થોડા ભરાણા પણ છે! નવાનગર રજવાડાના મંદિરોનો ઘંટારવ, એ દરિયાઈ પવન, એ હાલારી ખાણા ની સુગંધ અને રાજઘરાનાની જવાબદારીઓ...આ બધુજ જામ સાહેબને યાદ આવે છે. લોર્ડસના એ પેવેલિયનના પગથિયે હળવે હળવે ઉતરતા, હાથમાં જાદુઈ છડી ની માફક બેટ ઘુમાવતા, પ્રશંસકો સામે માર્મિક સ્મિત કરતા જામ રણજીને હવે મેદાનમાં રમવા ઉતરતા નહીં જોઈ શકાય. હવે પછી ની રમતમાં દર્શકો તો હશે જ. બસ, હવે તેઓને ઇંગ્લેડના હૂંફાળા સૂર્યપ્રકાશમાં બેઠાબેઠા વીજળીક ફટકાઓ લગાવતા જામ રણજીતસિંહજી ફરી જોવા નહીં મળે! રણજીની અનન્ય ક્રિકેટ કલા ને કારણે અપૂર્વ આનંદમાં ડૂબી જતાં અને ખુશખુશાલ થઈને ઘરે જતા દર્શકો માટે એ અનન્ય ક્રિકેટકલા, જે તેમને સવારથી સાંજ સુધી ખુરશી ઉપર જ જકડી રાખતી, એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે..

ક્રિકેતજગત ના આ મહાન કલાકારે ક્રિકેટમંચ ઉપરથી વિદાય લીધી છે. રણજી હવે આપણા દિલોદીમાગમા ફક્ત યાદ બનીને રહી ગયા છે. ઓહો! જામ સાહેબ!
એક નાના રજવાડા ના રાજકુમાર પણ એક મહાન રમતના સમ્રાટ . તમને સમગ્ર ઇંગ્લેન્ડ ઝાઝેરા ઝુહાર પાઠવે છે.

મને લાગે છે કે અંગ્રેજોની આ રમતના સર્વકાલીન મહાન બલ્લેબાજ તરીકે કોઈ ભારતીય નિર્વિવાદ રીતે સ્થાપિત થયા હોય તો એ છે જામ રણજી. આ કોઈ આંકડાઓ આધારિત દાવો નથી અને તેમ છત્તા તમે ફક્ત ક્રિકેટ આંકડાઓ ને પણ લક્ષ માં લ્યો તો પણ રણજીની મહાનતા ને આસાનીથી સાબિત કરી શકો. રણજીની સિઝન ની બેટિંગ સરેરાશ ઇનિંગ દીઠ 87 રન અને કુલ 3000 થી થોડા વધુ રન બનાવ્યાની છે. ભાગ્યેજ કોઈ બીજો ઇંગ્લિશ ક્રિકેટર આ આંકડાની થોડો પણ નજીક પહોંચ્યો છે. રણજીએ ત્રણ ત્રણ સિઝન માં સળંગ ત્રણ-ત્રણ હજાર રન ફટકારેલા છે અને હજુ સુધી કોઈ પણ આ રેકોર્ડ ની બરાબરી કરી શક્યું નથી!

હજુ એક અજબ ક્રિકેટિંગ રેકોર્ડની વાત કરીએ તો કોઈ જેવા તેવા બોલિંગ એટેક સામે નહીં પણ ખૂંખાર ગણાતા યોર્કશાયર ના ગોલંદાજો સામે એક જ દિવસમાં બબ્બે બેવડી સદીઓ બનાવીને રણજીએ તરખાટ મચાવ્યો હતો. ક્રિકેટરનું સાચું હીર એણે કેટલા નહીં પણ કેવી રીતે રન બનાવ્યા છે એ રીતે જોતાં વધુ સારી રીતે પરખાય છે. વોશિંગટન ઇરવિંગ કહે છે કે સાહિત્ય અને નાણાં ની બાબતમાં પસ્તી અને ગરીબી પણ એક સિક્કાની બે બાજુની જેમ જ સહ અસ્તિત્વ ધરાવે છે તેમ જ ક્રિકેટમાં પણ આળસુ અને મિજાજ વગરની રમત રમીને ઢગલો રન બનાવનારા પણ છે જ. જો હાલનું ક્રિકેટ આત્મા વગરનું અને ઢીલું લાગતું હોય તો એનું મુખ્ય કારણ ફક્ત સ્કોરબોર્ડ ટેબલમાં વધુ આંકડા ઉમેરવા રમવામાં આવતી જરા પણ સાહસ અને જોશ વગરની રમત છે. હાલનું ક્રિકેટ એ જેમ મશીન ની પિન ફેરવો અને આંકડા બદલાય તેવી જ કૃત્રિમ અને સાવ લાગણી વગરની રમત થઈ ગઈ છે કે જેમાં કોઈ રંગો નથી, કોઈ ઉત્સાહ નથી,કોઈ ખાસ શૈલી નથી

Gujarati Motivational by Jaydeep Buch : 111721749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now