દીકરી મોટી થઈ, ચિંતાઓ પણ ...
ઘણા મધ્યમવર્ગીય અને મર્યાદિત આવક વાળા પરિવારોમાં એક કે વધુ દીકરીઓ હોય, 12 વર્ષની થાય ત્યારથી એના લગ્નની ચિંતા કુટુંબને ખાસ કરીને માતાપિતાને શરૂ થઈ જ જાય. ક્યાં પરણીને જશે એના કરતાં ખર્ચો કેટલો થશે એ વધારે ચિંતા કરાવે છે. કેટકેટલાય લોકો એમાં માનસિક સંતુલન બગાડી બેસતા હોય છે. તેઓ માટે આજે મારે કૈંક કહેવું છે.
1. લગ્નો હમેંશા પોતાની આવક અને બચત પ્રમાણે કરવા. લગ્ન માટેની બચત માટે 10-15 વર્ષ પહેલાં તૈયારી થાય. અને નથી થઈ બચત તો પણ આવકથી વધુ ખર્ચની તૈયારી જ ચિંતા અને તકલીફ નોંતરશે.
2. દીકરીને ભણાવશો અને નોકરી વ્યવસાય લાયક બનાવશો તો દિકરી તમારા લગ્નનાં ખર્ચમાં સહભાગી બની શકે. દીકરી પાસેથી કશું લેવાય નહીં એવી માન્યતાઓ દરેક વ્યક્તિને લાગુ પડે નહીં. તમે ઈચ્છો તો લગ્નમાં દીકરીએ કરેલ ખર્ચને ઉધાર તરીકે લઈ શકો અને પાછળથી પાછા આપો, ક્યાં બધું આજેજ ચૂકવવું છે. માબાપને મદદ કરવી ફક્ત દીકરાનાં માથે જ નથી, દીકરીઓ પણ મદદ આપે જ છે.
3. દીકરીનાં લગ્નમાં સોનું, વસ્ત્રો, ચાંદી , ફર્નિચર, ભેંટ સોગાદ વગેરે આપવાનો રિવાજ રાજા મહારાજા લાવ્યા હતાં, પછી મોટા વહેપારીઓ પણ એવું કરતાં થયા અને પછી આ એક પ્રથા બની ગઈ. આપવું ભલે પણ પોતાના પરિવારને દેવામાં નાંખીને આ બધું આપવું એ ઘરનાં બીજા સભ્યો સાથે અન્યાય છે.
4. ગરીબની દીકરી કોણ પરણશે? આ એક નાકારાત્મક વિચાર છે, લાખોની સંખ્યામાં અપરણિત છોકરાઓના છે કે જેમને નાના મોટા કારણસર લગ્ન થયા નથી. તેઓ પરણવા ફક્ત સંસ્કારી ભણેલી છોકરીઓ ઈચ્છે છે, દીકરીના માતાપિતાએ શરમ વગર સગા સંબંધીઓ સમાજમાં કહેવું કે અમે દહેજ વગેરે નથી આપવાના પણ એક ભણેલી સંસ્કારી દીકરી આપીશું.
5. જ્ઞાતિ બહાર લગ્ન હવે નવી વાત નથી, સારા સંસ્કારી, સ્વનિર્ભર છોકરાઓ જ પહેલી પસંદ રાખીએ એટલે પસંદગી માટે અવકાશ વધી જશે. જ્ઞાતિમાં લગ્ન કરવાથી સમાજ મદદે આવશે એ એક ભ્રમ છે, હવે પારિવારિક સમસ્યા માટે કુટુંબમાં જ રહીને સમાધાન શોધવા પડે છે.
દીકરીનાં લગ્નની ચિંતા કરતાં મહત્વનું છે દીકરીનું ઘડતર. માબાપ દાદાદાદી નાનાનાનીથી સારા ઘડવૈયા કોઈ હોઈ શકે નહિં.
દિકરીહિતમાં જારી.
-મહેન્દ્ર શર્મા 5.4.21