"જીવથી શિવ સુધી...."
આજના મહાશિવરાત્રીના પર્વની સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ.આમ તો શિવરાત્રી દર મહિને આવે છે .પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે.દેવોના પણ દેવ એવા મહાદેવનો તહેવાર એટલે મહાશિવરાત્રી.માત્ર મનુષ્યો જ નહીં પણ રાક્ષસો,ભૂત, ભુવા પણ જેમની પૂજા કરે છે એવા દેવ એટલે ભગવાન શિવ.નીલકંઠ,ભૂતનાથ,અર્ધનરનારીશ્વર,ભોળાનાથ વગેરે નામોથી પ્રચલિત દેવ એટલે મહાદેવ.
આપણા વેદ અને પુરાણોમાં પણ શિવની શક્તિ અને મહિમા જણાવવામાં આવ્યો છે.રામાયણ અને મહાભારતમાં પણ શિવને મોટા દેવ ગણવામાં આવ્યા છે.આપણા અઢાર પુરાણોમાંથી એક પુરાણ એવા શિવપુરાણના રચનાકાર ભગવાન શિવ પોતે જ છે.વેદ વ્યાસે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું છે.શિવ પુરાણમાં 24,000 જેટલા શ્લોકો છે.આમાંથી જો એક પણ મંત્રનું શ્રદ્ધાથી ધ્યાન ધરવામાં આવે તો પણ ભોળાશભું પ્રસન્ન થઈ જાય છે.શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે પ્રભવશાળી મંત્ર કોઈ હોય તો તે છે ,"મહામૃત્યુંજય મંત્ર." આ મંત્રની રચના માર્કંડેય ઋષિએ કરી હતી.તેનું વર્ણન આપણને ઋગ્વેદમાંથી પણ મળી આવે છે.સમુદ્રમંથન સમયે જ્યારે શિવજી એ હળાહળ વિષ પી ને જગતના જીવોને જીવનદાન આપ્યું હતું ત્યારથી શિવ મર્ત્યુંજય સ્વરૂપે પૂજાય છે.
અંતે વિચારવા જઈએ તો જીવ અને શિવ બને એક જ છે. જરૂરિયાત માત્ર જીવથી શિવ સુધીની સફર આરંભ કરવાની છે.શિવજી આપણને એજ શીખવે છે કે,જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં ક્રોધ,ભોળપણ ,તાંડવ બધું જ જરૂરી છે.ભક્તિનો અર્થ એ નથી કે, એક દિવસ પૂરતું શિવને જળ અથવા દૂધ અર્પણ કરવું જ કરવું. હું દુગ્ધાભિષેકની જરાય વિરોધી નથી.પણ તમારી સામે કોઈ બાળક ભૂખ્યું હોય અને તમે એ બાળકને દૂધ આપશો ત્યારે શિવજી ખરેખર વધારે પ્રસન્ન થશે. લેખક જયદેવ પુરોહિત પણ કહે છે કે,આત્મશ્રુદ્ધિ,વિચારશ્રુદ્ધિ અને નજરશ્રુદ્ધિ થાય તો જ મહાશિવરાત્રી ઉજવાય.
છેલ્લે દિલથી કહું તો કમલેશભાઈ પટેલ રચિત એક ગીત યાદ આવે છે :
એ જી વા'લા જીવ ને શિવ દો'નો એક છે,
જાણી લે હંસલા અજ્ઞાની...
બીજમાં બેઠો જેમ વડલો,
બેઠો એમ ઘટ ઘટ શિવલહેરી...
એ જી વા'લા અકળ લીલા નિલકંઠની,
સમજી લે જીવડા ગુમાની...
- SHILPA PARMAR "SHILU"