જ્યારે કાવ્યા ઊંધીયાનું શાક લેવા મોટી બજારમાં ગઈ હતી ત્યારે દસ રૂપિયા ખૂટ્યા હતા. ત્યારે તે વાલોર પાછી મૂકવા ગઈ તો શાકવાળા એ તરત કહેલું," બેન, દસ રૂપિયા પછી આપી દેજો પણ વાલોરના દાણા વગર ઊંધીયાની મજા નહી આવે, તમે તારે લઈ જાવ ." પછી આ બાજુ આવવાનું ન થાય તો ભૂલી જવાય એવી કાવ્યાની વાત પર બોલેલો પણ ખરો," દસ રૂપિયામાં મારે બંગલો નથી બંધાઈ જવાનો શું તમે પણ લઈ જાઓ હવે." જો કે પછી ત્રણ દિવસની અંદર કાવ્યા એ એ રૂપિયા શાકવાળાને આપી દીધેલા. અત્યારે વિદેશનાં એક મોલમાં કેશીયર તરીકે કામ કરતી કાવ્યા જ્યારે અઢળક ડોલર કમાતા ગુજરાતીઓને પાંચ પાંચ સેન્ટ (વિદેશના પાંચ પૈસા ) માટે કચ કચ કરતા જુએ છે. ત્યારે પોતાના શહેરનાં શાકવાળા જેવા અનેક મોટા મનના લોકો એની આંખ સામે તરી આવે છે અને ન ચાહવા છતાં પણ એની આંખના ખૂણા પાણીથી ભરાઇ જાય છે.