કેનેડાના ટોરેન્ટોમાં સાત આઠ રેસ્ટોરન્ટનાં માલિક હતા પરેશભાઈ. જેટલો વધારે પૈસો એટલી જ વધારે હાય હાય અને એટલો જ સ્વભાવ પિત્તળ હતો પરેશભાઈનો . પોતાની જ એક રેસ્ટોરન્ટમાં ઘણાં સમયથી કામ કરતી મેનેજર જલ્પાને ખૂબ નાની ભૂલ માટે નોકરીમાંથી કાઢી મૂકેલી. બિચારી જલ્પાને સારા દિવસો જતા હતા એને ત્યારે નોકરીની ખૂબ જરૂર હતી. પછી તો જલ્પાને દિકરી જન્મી અને દિકરી ખૂબ નાની હતી ત્યારે જ જલ્પાનો પતિ નાની બિમારીમાં મૃત્યુ પામેલો. અત્યારે તો જલ્પાની દિકરી પણ આઠ વર્ષની થઈ ગઈ છે. જલ્પા એનો ઉછેર એકલે હાથે હિંમત પૂર્વક કરી રહી છે. આજે સવારે ટોરેન્ટોની એક લોકલ ચેનલમાં કોરોનાને લીધે શહેરના ધનાઢ્ય પરેશભાઇનાં મૃત્યુના સમાચાર સાંભળી જલ્પા મનોમન વિચારવા લાગી," કોરોના ને લીધે ઘણાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા. પણ પરેશભાઈ માટે આ વાત જરાપણ સાચી ન હતી. "