આયુર્વેદ અને એલોપેથી, વિશ્વાસ કરીએ કે ઈલાજ કરીએ?
થોડાક મહિનાઓ પહેલાં મને ચામડીનો રોગ થયેલો.
ખુબજ ખંજવાળ આવે અને ખંજવાળો તો લોહી નીકળે.
લીમડાના પાન ગરમ પાણીમાં નાંખી રોજ ન્હાવો, મટી જશે એવું કોક વડીલે કહ્યું, એટલે 1 મહિનો એમજ કરતો રહ્યો. પણ ખંજવાળમાં કોઈ રાહત મળી નહીં.
છેવટે ડરમેટોલોજીસ્ટ એટલે ચામડીના રોગના ડોક્ટરને મળીને દવા ચાલુ કરી, એક મહિનામાં બધું મટી ગયું.
એમના કહેવા પ્રમાણે ચામડીના રોગમાં તકલીફ અંગરિક હતી, બાહ્ય નહીં, એટલે દવાગોળી લો તો અંદરથી રોગ મટે.
મારી ધર્મપત્નીને એક વખત વજન ઉતારવા માટે કોઈએ એક વિશેષ કાઢો ભૂખ્યા પેટે પીવાની અમૂલ્ય સલાહ આપી, કાઢો શરૂ થયો અને સાથે જ શરીરની અમુક બીજી તકલીફો જે નહોતી અને કાઢો શરૂ કર્યા પછી શરૂ થઈ. આ તકલીફોને લીધે કાઢો છેવટે બંધ કરવો પડ્યો.
મારા પપ્પા ડાયબટિક હતા. વર્ષોથી એક ઔષધિ ‘કડુ અને કરિયાતું’ કાઢો બનાવીને પીતા હતાં એટલે મદુમેહ કંટ્રોલમાં રહે, છેવટે જ્યારે બેઉ કિડની ફેલ થઈ જે એમના મૃત્યુનું કારણ પણ બની ત્યારે ડોકટરે એવું કહેલું કે કોઈ આયુર્વેદ દવા લાંબા સમયથી લેતા હોવ તો કિડની ડેમેજ કરે.
પથરીનો રોગ મટાડવા મારા મમીએ ઘણા ઉપચાર કર્યા હતાં પણ કોઈ ફેર નહીં પડતા એલોપથી દવા ચાલુ કરી અને મૂત્ર મારફતે પથરી નીકળી ગઈ.
હરસ, મસા, ભગંદર દૂર કરવા માટે અનેક જાહેરાતો છાપામાં આવતી હોય છે જે દર્દ વગર તકલીફ દૂર કરવાના દાવા કરે છે, એવા દર્દીઓને મેં 10- 15 વર્ષ પછી સર્જરી કર્યા પછી જ આરામ થયો એવું નજરે જોયેલું છે.
મારા મત પ્રમાણે આયુર્વેદ રોગ થાય જ નહીં એવી વિધિ સુધી યોગ્ય છે પણ રોગ થાય ત્યારે મટાડવા તો એલોપેથી જ કારગર નીવડે છે.
તમારા અનુભવ કેવા રહ્યાં છે?