" સંબંધો "
એક યુવાન એક સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો, ‘સંબંધો આટલા બધા અટપટા કેમ છે? સંબંધો આટલી બધી વેદના કેમ આપે છે?’ સંતે જવાબ આપ્યો કે, ‘એનું કારણ એ છે કે માણસ જેવો હોય તેવો પેશ આવતો નથી. સંબંધોમાં પણ એની ગણતરીઓ હોય છે. જે સંબંધ તમે સ્વાર્થ કે ફાયદો જોઇને બાંધો એ સંબંધ તકલાદી જ હોવાના! માણસ હોય છે જુદો અને દેખાય છે જુદો. તમને કોઇ પ્રેમ કરતું હોય, તમારા ઉપર કોઇ ભરોસો મૂકતું હોય, તમારા પર જેને શ્રદ્ધા હોય, એને છેતરવા જેવું બીજું કોઇ પાપ નથી.’ સંતે છેલ્લે એટલું જ કહ્યું કે, ‘ધુતારા કરતાં લૂંટારા સારા! જેવા છે એવા તો સામે આવે છે. ધૂતારા તો ક્યારેક દોસ્ત, ક્યારેક પ્રેમી કે ક્યારેક સ્વજન બનીને લૂંટી જાય છે.’