પહેલાંના વખતમાં લોક કલ્યાણ માટે ગામ તળાવ અને તેમાં એક કૂવો ખાસ હોય.તળાવ કાંઠે ઝાડ હોય અને તળાવની અંદર ઉતરવા ખાસ પ્રકારનાં પાવઠાં હોય.અને તળાવ ગામની ઉગમણી દિશાએ જ હોય.કેમકે જળચર, થળચર,વિહંગ વગેરે વિહરતાં જીવ માટે પીવાનો પ્રબંધ હતો.કુવાનું પાણી ગ્રામજનો પીવા માટે ઉપયોગ કરતા.બપોર નો સમય હોય,ધખતો તાપ હોય ત્યારે તમામ જીવ તેમાં શાંતિ,આરામ માટે ઘડી બે ઘડી બેસતાં.નાના - મોટાં તળાવના પાણીમાં તરતાં શીખતાં.પ્રસંગોચિત વરસાદ સારો વરસે તળાવ ભરાય તો ગામ આખું જળઝીલણી એકાદશીએ તેને વધાવા જાય.આદર્શ ગામડે ઘરડા તળાવ ફરતી પાળે મોર્નિંગ વૉક કરે.ગામ ને મીઠું પાણી બારેમાસ મળી રહે તેટલું ગામ તળાવ આશીર્વાદ રૂપ હતું. ગામની શોભા તળાવ કહેવાય.દેવ દર્શન માટે મંદિર ની કલ્પના પણ એટલી જ ભવ્ય લાગે.ગામનો પ્રસંગ હોય તો તે સુપેરે થતો.કૂવે પાણી ભરતી પનિહારી માથે બેડું અને ગામ આખા ની નાની મોટી ઘટનાનું પ્રસારણ થતું.અંગ કસરત માટે કે થોડીવાર મગજ ફ્રેશ કરવા માટે પોતાના દોસ્તાર સાથે ગામના જુવાનિયાઓ તળાવ નો ચક્કર તો રોજ મારતા.ગામમાં કોણ નવા મહેમાન આવેલા છે તેની ખબર સવારે પડી જતી.ગોકૂળ આઠમનો કાનુડો રમવા નવયૌવના નવા ઘરેણે કપડે સજ્જ ઢોલે રમતી.અને ગામના ઉત્સાહી તરવૈયા કાનુડાનું વિસર્જન કરવા ઊંડા પાણી માં ધૂબકા લગાવતા.સવાર નો પંખી નો કલશોર કે મોરલાનો ગહેંકાટ મધૂર લાગતો.જોડે ગામની શાળામાં ભૂલકાં નાચતાં કૂદતાં વનરાજી સજ્જ તળાવ ની પાળે પસાર થતાં ત્યારે ઘર નો વિચાર ભૂલી વિદ્યાભ્યાસમાં ચિત્ત પરોવતાં.આવી અતિભવ્ય વાસ્તવિકતા જોવા મળતી.માટે તળાવ ને ફરી સજીવન કરીએ.ફરી એજ વાતાવરણ ઉભું કરીએ એજ અપેક્ષા સાથે...
- વાત્ત્સલ્ય