#મંદિર
વિદેશથી આવેલા મિત્રોને ના પાડી ના શકાઈ અને કેવડાત્રીજ ના દિવસે જ સવારે સલોની પોતાના પતિ અને બાળકો સાથે મિત્રોએ ભાડે કરેલી ગાડીમાં મિત્રો સાથે સોમનાથ જવા ઉપડી. લગભગ દસેક વાગ્યે અમદાવાદ થી નીકળેલી સવારી જ્યારે સોમનાથ પહોંચી ત્યારે રાતના ઘણું મોડું થઈ ચૂક્યું હતું. મનમાં બધાને ડર તો હતો જ કે મંદિરમાં દર્શન થાય તો સારું. પરંતુ ત્યાં જ તો મંદિરનો ઘંટારવ સંભળાયો કદાચ છેલ્લી આરતી હશે. બધા જ મંદિર તરફ દોડ્યા. ખૂબ જ સરસ રીતે બધાને દર્શન થયા. આખો દિવસ કેવડાત્રીજ નો નકોરડો ઉપવાસ અને રાત્રે સોમનાથ માં મહાદેવના થયેલા દર્શન સલોની માટે તો સોનામાં સુગંધ જેવા હતા અને પછી બીજા દિવસે સોમનાથમાં ઉડાવેલી ગરમાગરમ ગાંઠિયા અને ચા ની જયાફત. બધું જ જાણે હમણાંજ ના બન્યું હોય એવું ને એવું તાદશ્ય સલોનીને આજે દસ વર્ષ પછી પણ યાદ છે.