પ્રાર્થના - પ્રચંડ મન:શક્તિનું પ્રેરકબળ
આપણા હિન્દુ ધર્મમાં હોય કે કોઈપણ ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ વિશેષ બતાવ્યું છે.
"પ્રાર્થના એ આત્માનો ખોરાક છે." "પ્રાર્થના એ અંતરનો આર્તનાદ છે."
આપણે સૌ સવારે ઉઠતાની સાથે પહેલાં જ પ્રભુ સ્મરણ કરીએ છીએ. કે હે, પ્રભુ! આજના નવા દિવસ માટે તારો ધન્યવાદ, આજે કોઈ એક કામ તો તું મારી પાસે સારું કરાવજે, કોઈનું ભલું ન કરી શકું તો કંઈ નહીં પણ એટલું ધ્યાન રાખજે કે મારા હાથે કોઈનું ખોટું તો ન જ થાય, અને એ જોવાની જવાબદારી તારી છે, કારણકે હું તારો બાળક છું. તું હંમેશા મારી સાથે રહે છે એનો અહેસાસ કરાવતો રહેજે.
અને રાતે સૂતી વખતે છેક છેલ્લે આંખ બંધ કરતી વખતે..
હે, પ્રભુ! આજના દિવસ માટે તારો આભાર, તે આપેલા સુખ માટે તારો આભાર, તે આપેલા શ્વાસ માટે આભાર, મારાથી મન, કર્મ, વચનથી કોઈનું ખોટું થયું હોય તો હું એમની માફી માગું છું. અને મન,કર્મ,વચનથી કોઈએ મારું ખોટું કર્યું હોય તો હું એમને માફ કરું છું. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ. તારા ખોળામાં માથું મૂકીને સૂતો છું તને ઠીક લાગે તો ઉઠાડજે.
આવી તો ઘણી એ પ્રાર્થના આખા દિવસ દરમિયાન પણ આપણે કરતાં જ હોઈએ છીએ.
પરંતુ,
પ્રાર્થના એટલે શું? પ્રાર્થના ક્યારે કરવી જોઈએ? પ્રાર્થના કેમ કરીએ છીએ?
આપણને નકારાત્મકતાથી દૂર, સકારાત્મક ઉર્જા મળતી રહે એટલે પ્રાર્થના કરીએ છીએ. આપણને આંતરિક,માનસિક અને શારીરિક શક્તિ મળતી રહે એથી પ્રાર્થના કરીએ છીએ.
મને જરૂર પડ્યે તરત કામમાં આવે કે બીજાને જરૂર હોય અને હું મારી પ્રાર્થનાનું બળ એને પૂરું પાડી શકું મારે મન તો એજ પ્રાર્થના.
મારા મતે….
સારા સમયમાં પ્રાર્થના કરી લેવી જોઇએ. કારણ કે ખરાબ સમયમાં પ્રાર્થના કરવાનો સમય જ ક્યાં હોય છે!? નથી જ હોતો.
એમ કહો ને કે મળતો જ નથી. ત્યારે તો મક્કમ મનોબળ સાથે ફક્ત અને ફક્ત કર્મ જ કરવાનું હોય છે. આગળ કરેલી પ્રાર્થના આ સમયે કામ લાગે છે.
પ્રાર્થનામાં એટલી પ્રચંડ શક્તિ છે કે આપણે ગમે એટલા નબળા હોઈશું તો પણ પ્રાર્થનાના બળ થકી સામે આવેલી અતિમહાકાય પરિસ્થિતિને પણ પાર કરી શકીશું માત દઈ શકીશું.
પ્રાર્થના એ પ્રચંડ મન:શક્તિ નું પ્રેરકબળ છે.
આ મારો જાત અનુભવ છે અને મારું દ્રઢ પણે માનવું પણ છે.
હું કૃષ્ણ ભક્ત છું એટલે કર્મમાં જ માનું છું. એટલે એનો અર્થ એવો નથી કે હું પ્રાર્થના નથી કરતી. હું કરી લઉં છું. પરંતુ સમય આવ્યે તો હું કર્મ જ કરું છું. કૃષ્ણ કહે છે કે, "ફક્ત પ્રાર્થના એ કાયરતાની નિશાની છે, જે સમયે કર્મ કરવાનું હોય એ સમયે જ ફક્ત હાથ જોડીને પ્રાર્થના જ કરવામાં આવે તો કદાપિ સફળતા મળતી જ નથી અને ભગવાન પણ આવતો જ નથી."
આપણે આપણાં સારા સમયમાં જો પ્રાર્થના કરી હશે અને હરિ નો એહસાસ કર્યો હશે તો જ કપરા સંજોગોમાં એની મદદ અને એનો સાથે હોવાનો અહેસાસ પળે પળે થતો રહેશે. આપણે એને જાણતાં જ ન હોઈએ કે ઓળખતાં જ ન હોઈએ તો એનો
પગરવ ક્યાંથી ઓળખાશે!?
એથી જ, જો ભગવાનનો અહેસાસ કરવો હોય તો સારા સમયમાં પ્રાર્થના કરવી અને કપરાં સમયે કર્મ કરી સફળતા મેળવવી, તો જ કૃષ્ણ ખુશ થશે કે આપણા પોતપોતાના ભગવાન રાજી થશે. મારા મતે તો આ જ પ્રાર્થના અને આ જ પ્રાર્થનાનું મૂલ્ય.
-કિંજલ દિપેશ પંડ્યા. "કુંજદીપ"