મેં વેન્ટિલેટર ઉપર શ્વાસ ભરતી અને છેલ્લી ઘડી સુધી જીવવા માટે મથામણ કરતી વ્યક્તિને જોઈ છે. મારાથી લઈને તમારા સુધી જીવન દરેકને વહાલું જ હોય છે.કોઈપણ આપઘાતનાં સમાચાર અંદરથી હચમચાવી મૂકે છે કે..વ્યક્તિ જાતે જ પોતાનું જીવન કેમ સમાપ્ત કરી દેતું હશે?
થોડુંક અમથું વાગ્યું હોય છે તો પણ પીડા સહન નથી થતી તો માણસ જાતે જ પોતાનાં એક-એક શ્વાસને તોડતો હોય અને મોતને વહાલું કરે એ માણસ અંદરથી કેટલો એકલો અને તૂટી ચૂક્યો હોય છે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આપણાં સમાજમાં હૃદયરોગ,કેન્સર,ડાયાબિટીસ વગેરે જેવી શારીરિક બીમારી વિશે ચર્ચા અને ઈલાજ કરાવવામાં આવે છે એવી રીતે માનસિક બીમારી,ડિપ્રેશન વગેરે વિશે એટલી ચર્ચા કરવામાં નથી આવતી. માનસિક બીમારીને લોકો છુપાવે છે અને ઈલાજ કરાવતા ડરે છે..કારણકે આપણાં સમાજે આ બીમારીને 'પાગલપન'ની શ્રેણીમાં મૂકી દીધી છે.
આપણાં મગજમાં ડોપામીન, સિરોટીન જેવા કેમિકલનું ઇમબેલેન્સ થાય તો વ્યક્તિ ડીપ્રેશનમાં સરી પડે છે.એકલું લાગવું,મૂડ સ્વિંગ થવો,ગુસ્સો આવવો,આત્મહત્યા કરવાનાં વિચાર આવવા વગેરે આપણાં મગજમાં થતાં કેમિકલ લોચાને કારણે થતું હોય છે.બીજી બીમારીની જેમ મનોચિકિત્સક પાસે લઈ જઈને તમારી વ્યક્તિનો ઈલાજ કરાવવો જરૂરી છે.નહિ તો ડીપ્રેશન એ વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી દોરી જાય છે.
વ્યક્તિ પોતાની માનસિક બીમારી વિશે પોતાનાં ઘર અને સમાજમાં ખૂલી ને વાત કરી શકે તેવો માહોલ ઊભો કરવાની જરૂર છે.એ વ્યક્તિને પોતાની ઘરની વ્યક્તિઓ ,સમાજ વગેરે તરફથી એક અલગ પ્રકારની નજરે જ જોવામાં આવે છે.પરિવારજનોથી લઈને સમાજ દ્વારા તેમને ધુત્કારવામાં આવે છે.જે એને અંદરથી સાવ તોડી નાખે છે.આવા સમયે એ વ્યક્તિને પોતાનાં પરિવારજનો,મિત્રોની ખરી જરૂર હોય છે કે જે એને સાંભળે અને સમજી શકે અને મુશ્કેલ ઘડીમાંથી એને બહાર કાઢી શકે.
મગજમાં થતાં આ કેમિકલનાં લોચા દરેકને થઈ શકે છે.બીજી બીમારીની જેમ મારાથી લઈને તમારા સુધી દરેકને માનસિક બીમારી ,ડીપ્રેશન થઈ શકે છે અને અગેઈન માનસિક બીમારી એટલે 'પાગલપન' નહિ એ સમજશો તો આત્મહત્યાનાં કિસ્સાઓ ટાળી શકાશે અને અન્ય બીમારીની જેમ તેનો પણ ઈલાજ જરૂરી છે.
-Reshma Kazi