આ દુનિયાને, આ સંસારને પંખીનો માળો અમસ્તાં જ નથી કહેવાયો. પંખી જેમ માળો બાંધે, ઈંડા મૂકે, બચ્ચા થાય ને ઉડતા શીખે ને સૌ ઊડી જાય એવું જ; પણ માણસના માળાનો સમયગાળો થોડો મોટો, બાકી 4-5 પેઢી પહેલા કોણ હતું અને કોણ હશે એ કોણ જાણે છે.અને ગમે તેવા ભવ્ય, વિશાળ, મજબૂત માળા પણ કુદરતની એક થપાટ(ભૂકંપ, વાવાઝોડું, સુનામી કે પછી વખત)ના જ ગરાગ હોય છે એ આપણને સૌને ખબર છે .કોઇ વળી કોઇ ના માળામાં ઘૂસી જાય, પચાવી પાડે. કોઈ વળી કોઈના માળા વિખેરી નાખે - ભાંગી નાખે તો કોઈ વળી એવા ય નીકળે જે બીજાના માળા બનાવી પણ આપે. આમ તો કોઇના માળા પચાવી પાડવા, તોડી પાડવા, ફેરવવા એના કરતાં માળા ફેરવવી સારી કે જેથી જીવનની આ ઘટમાળામાંથી મુક્તિ મળે. કોયલની જેમ કોઈ બીજાના માળામાં છેતરપીંડી કરી પોતાના બાળકોને બીજા થકી ઉછેરવામાં વાત્સલ્યની અનુભૂતિ ક્યાંથી થવાની ? માળો બનાવવા માટે કેવી સખત મહેનત કરવી પડે છે એ તો સુઘરી (=સુગૃહી =સારા ઘર વાળી) નો માળો જુઓ તો સમજાય. પેલો દરજીડો પણ કેવી મસ્ત રીતે પાંદડાઓ સીવીને માળો બનાવે છે કાં ! પોતાના સંતાનોને તાપ, ટાઢ, વરસાદ અને સૌથી વધુ તો દુશ્મનોથી બચાવવા માટે જ. વળી માળા બાંધનાર એવી અપેક્ષા તો ક્યારેય નથી રાખતાં કે અમે જેને પેદા કરીએ, ઉછેરીએ તે અમારું ઘડપણ પાળે, બચ્ચા તો પાંખો આવે ને ઉડી જતાં હોય છે. વળી સુઘરીએ પેલા ટાઢથી થર્થરતા વાંદરાભાઈને પોતાના માળાના વખાણ કરીને ઘર બનાવી લેવાની વણજોઈતી સલાહ આપીને ( પરંતુ એ તો વાંદરા કહેવાય >રાજા. વાજા ને વાંદરા વાળા) પોતાનો માળો બાળબચ્ચા સાથે ગુમાવ્યો હતો એમ સમય /માણસ જોઈને વહેવાર /વર્તન કરીએ કે આપણો માળો સાચવીને બેસી રહીએ તો આપણો સંસાર માળો ટકી રહે.જુના મુંબઈમાં માણસો રહેતા તે મકાનોને પણ માળા જ કહેવાતા કે કહે છે અને એમાં સૌથી પહેલા કહ્યું તેમ માનવ પંખીડાવ વસવાટ કરે છે, પણ ઓલા ભજનમાં કહ્યું છે એમ વડલો તો એની ઉપર માળો બાંધી રહેતા પાંખાળાવને ચેતવતો જ હોય છે કે વડવાઈયું સળગી છે એટલે તમે માળાના મોહમાં પડ્યા વગર વહેલા વહેલા ઊડીને સલામત સ્થળે પહોંચી જાવ નહીંતર કોરોના રૂપી આગ તમને ભરખી જશે માટે મારા બાપલિયાવ, ઊંડી જાઓ પંખી પાંખું વાળા!!!
#માળો