એક વાર,
ઇન્દ્રદેવ ખેડૂતોથી નારાજ થઇ ગયા અને જાહેર કર્યું કે આવનારા ૧ર વર્ષો સુધી વરસાદ થશે નહીં અને તમે કોઇ પણ પાકની ખેતી કરી શકશો નહીં.

ખેડૂતોએ ઇન્દ્રદેવને ખૂબ જ પ્રાર્થના કરી અને દયા કરવા વિનવ્યા તેથી તેમણે કહયું કે જાઓ જો ભગવાન શિવ ડમરૂ વગાડશે તો વરસાદ થશે.

બીજી તરફ ઇન્દ્રદેવે બધી હકીકત ખાનગીમાં જણાવીને ભગવાન શિવને ૧ર વર્ષ સુધી ડમરૂ ન વગાડવા મનાવી લીધા. ખેડૂતો ભગવાન શિવના શરણે ગયા તો શિવજીએ કહયું કે હું ૧ર વર્ષે જ ડમરૂ વગાડીશ જાઓ.

દુઃખી થયેલા ખેડૂતો પાસે ૧ર વર્ષ સુધી રાહ જોયા સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ તે ખેડૂતો પૈકીનો એક ખેડૂત ખેતર ખેડતો, સમારકામ કરતો અને પાક ઉગવાનો નથી તે જાણવા છતાં દર વર્ષે વાવેતર પણ કરતો.

અન્ય ખેડૂતો તેની મશકરી કરતાં છતાં પણ દર વર્ષે તે આ મુજબ જ તેની પ્રક્રિયાનું પુનરાવર્તન કરતો હોવાથી બધા ખેડૂતો એ કહયું કે ડોબા, તને ખબર છે કે ૧ર વર્ષ સુધી વરસાદ પડવાનો નથી તો પણ તું ગધામજૂરી કરીને સમય અને શક્તિનો વ્યય શું કામ કરે છે.

તેણે જણાવ્યું કે હું પણ જાણું છું કે પાક ઉગવાનો નથી પરંતુ હું તો ખેતીની પદ્ધતિ ભૂલી ન જાઉં તે માટે અભ્યાસ કરું છું. ૧ર વર્ષ પછી જયારે વરસાદ આવશે ત્યારે તો મારે આ બધી પ્રક્રિયા કરવાની જ છે જેથી હું દર વર્ષે સતત તેનું પુનરાવર્તન કરતો રહું છું જેથી ૧ર વર્ષ પછી મારૂ શરીર પાક ઉગાડવા માટે સશકત તેમજ સારૂ રહે.

ખેડૂતની આ દલીલ સાંભળીને માતા પાર્વતીએ શિવજી સામે તેના વખાણ કર્યા અને કહ્યું કે ૧ર વર્ષે તો તમે પણ ડમરૂ વગાડવાનું ભૂલી જશો ભોળાનાથ.

શિવજીએ મા પાર્વતીની વાત સાંભળીને ડમરૂ વગાડીને કહયું જુઓ હું ડમરૂ વગાડવાનું ભૂલ્યો નથી.
ડમરૂનો અવાજ સાંભળીને ચોથા જ વર્ષે વરસાદ પડવા લાગ્યો અને જે ખેડૂતો પોતાના ખેતરમાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને વાવેતર કર્યુ હતું તેના ખેતરમાં પાક ઉગી ગયો અને બાકીના ખેડૂતો નિરાશ થઇને બેસી રહ્યા.

સતત પુનરાવર્તન કરવાથી જ તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકો છો. આપણે રોગી બનીએ કે વૃદ્ધત્વ પામીએ છીએ કારણકે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા આપણે સતત પ્રયાસો કરતા નથી. સતત પ્રયત્નશીલ રહેવું એ ગુણવત્તાયુકત જીવનનો મૂળમંત્ર છે.

જેથી લોકડાઉન ચાર અઠવાડિયે, બે મહિને કે એક વર્ષે ખૂલે પરંતુ આપણે આપની ક્ષમતા, શક્તિને વિકસાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઇએ. આપણી પાસે જે છે તેને ઉન્નત, સમૃદ્ધ કરીએ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરતા રહીએ.

લોકડાઉન ખૂલવાની રાહ જોતા રહેવું તે વરસાદ પડવાની રાહ જોવા જેવું છે. ડમરૂ વહેલું મોડું વાગશે જ પરંતુ તે સમયે તમે તૈયાર નહીં હોવ તો તકલીફ પડશે. જેથી પડકારનો સામનો કરવા તૈયાર થાઓ. તથાગત બનો.

Gujarati Thought by Dinesh : 111414922

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now