હરિ કથા- સત્સંગ
રામ સાધનથી નહીં, કેવળ કૃપાથી જ મળે છે

नवमी तिथि मधुमास पुनीता। सुकल पच्छ अभिजित हरि प्रीता।।
मध्य दिवस अति सीत न घामा। पावन काल लोक बिश्रामा।।
આજે ચૈત્રનવરાત્ર નો અંતિમ દિવસ છે. આજ રામનવમી છે. મારી દ્રષ્ટિએ આ બ્રહ્માંડીય- વૈશ્વિક- દિવસે આજ ફરી એકવાર આપ સમક્ષ સંવાદ કરવા ઉપસ્થિત થયો છું. આજના શુભ દિવસથી દિવસની વિશ્વને ખૂબ ખૂબ વધાઈ. ઉત્તર કાંડમાં રામચરિતમાનસમાં કાગભુષંડીજી ગરુડ સમક્ષ પોતાની આત્મકથા, પોતાની આત્માનુભૂતિ વર્ણવે છે કે-
'મેં પરમાત્માના ઉદરમાં અનંત બ્રહ્માંડોનું દર્શન કર્યું. આ બધાં જ બ્રહ્માંડોમાં બધું ભિન્ન ભિન્ન જોયું. પણ. राम रूप दुसर नहीं देखा।
રામ અદ્વિતીય છે. રામ પરમ સત્ય છે. જેમ આકાશમાં ચાંદ-સૂરજ, ગ્રહ-નક્ષત્ર લટકી રહ્યા છે, પોત પોતાની ઓળખ લઈને, પોતાની ગતિમાં ઘૂમી રહ્યા છે, કુદરતના નિયમો અનુસાર એ બધાં કર્મ કરે છે. પરંતુ આકાશ એક જ છે. ભગવાન રામ નિખિલ બ્રહ્માંડનો આત્મા કહું છું, કારણકે તે આકાશ છે. એમાં આપણે બધા છીએ. આપણે બધા ભિન્નભિન્ન છીએ, પણ તે તો એક જ છે.
ઋષિનું આ ગૌરીશંકરિય દર્શન છે, ચિંતન છે, અનુભવ છે.
- 'મેં કહ્યું, કે આકાશમાં બધું જ છે. પણ મારા ભાઈ - બહેનો! આકાશ પણ આ પરમાત્મામાંથી જ પ્રગટ થાય છે. રામ- પરમ તત્વ- આકાશને જન્મ આપે છે.
एतस्मात्मानम् आकाशः संभूतः। आकाशात् वायुः। वायोर्ग्नि:। अग्नेराप:। अद्भ्य:पृथ्वी:। पृथव्या औषध:।
વિજ્ઞાન કહે છે, એ જ ક્રમમાં આપણા ઋષિઓ યુગોથી કહેતા આવ્યા છે.
પરમાત્મામાંથી આકાશ પ્રગટ થાય છે, આકાશથી વાયુ અને વાયુથી અગ્નિ પ્રગટે છે... એ બધું જ વૈજ્ઞાનિક છે. અગ્નિથી જળ પેદા થાય છે અને જળમાંથી પૃથ્વી પેદા થાય છે. પૃથ્વીમાંથી અન્ન પેદા થાય છે અને અન્નથી આપણા દેહ ઘડાય છે. એ દેહમાં જે વસી રહ્યા છે, એ રામ છે. એટલે હું કહું છું કે ભગવાન રામ નિખિલ બ્રહ્માંડનું પરમ તત્વ છે. આજે એના પ્રાગટ્યનો દિવસ છે.
*આજની વિષમ પરિસ્થિતિમાં, આપણે આપણા ઘરમાં રહીને રામનવમી મનાવીએ. ક્યાંય ભીડ ન કરીએ.૨૧ દિવસનાં અનુષ્ઠાનનું ઈમાનદારી, પ્રમાણિકતા અને જવાબદારીથી પાલન કરીએ.*
પૂજ્ય બાપુએ કહ્યું કે પરમાત્મામાંથી જ બધા પ્રગટ થાય છે અને પરમાત્મામાં જ બધા લીન થાય છે.એ પરમાત્મા રામનો આજે ત્રિભૂવનિય દિવસ છે. આજના દિવસે બધા જ તીર્થોમાં માનસિક રૂપમાં નિમજ્જન કરીને ભારત અને ભારતેતર દેશોમાં- જ્યાં ભગવાન રામ અથવા પરમતત્વની - અલગ અલગ ઉપાસના સ્થાનો પર, અલગ અલગ રીતે ઉપાસના થાય છે એ સહુને, તેમજ અધ્યાત્મ જગત અને ધર્મ જગતની ચેતનાઓને પ્રણામ કરીને આજના સંવાદ પ્રારંભ કરતાં બાપુએ કહ્યું કે
सियराम मय सब जग जानी। करउं प्रनाम जोरी जुग पानी।।
રામ કથા નિત્ય નૂતન છે. આ મારું શાબ્દિક નહીં, પણ હાર્દિકને નિવેદન છે. ગુરુકૃપાથી, શાસ્ત્ર કૃપાથી અને મારા સાધુ ક્રમ પ્રમાણે, મહારાજ દશરથ ધર્મધુરંધર હતા. અવધના ચક્રવર્તી સમ્રાટ હતા. કૌશલ્યાદિ એમની પ્રિય પ્રાણીઓ અને સૌના પવિત્ર આચરણ હતા. હરિપદ કમલમાં વિનીતભક્તિ કરનારો પરિવાર હતો. પણ મહારાજ દશરથજીને એક જ વાતની ગ્લાની હતી કે 'મારે એક પણ પુત્ર નથી. અને રઘુવંશ અહીં સમાપ્ત થઈ જશે, મારો કોઇ વારસ નહી રહે.' આ ગ્લાની, વેદના, પીડા, દર્દને પોતાના ગુરુ પાસે તે વ્યક્ત કરે છે. અને ગુરુ તેમને યજ્ઞની વિધા બતાવે છે. સ્નેહ અને ભક્તિથી યજ્ઞમાં આહુતિઓ અપાય છે. આખરે યજ્ઞફળ રૂપે મળેલો પ્રસાદ વહેંચવાથી રાણીઓ સગર્ભા થાય છે.

Gujarati Motivational by મનોજ જોશી : 111383566

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now