પાણીની વાત કર પછી અમરતની વાત કર,
સઘળી મમત ભૂલીને પછી સતની વાત કર.
આખી કુરાન સમજી શકું એ ગજું નથી
ઉપદેશ છે સબરનો એ આયતની વાત કર.
મૂર્છા જ છે આ આયખું એવી ખબર તો છે,
સંજીવની મળે નહીં, પર્વતની વાત કર.
જો વાત હોય ત્યાગ તણી, ગર્વ ના કરીશ
છૂટી હતી જે માંડ એ આદતની વાત કર.
ખાટી ને ખારી હોય જો ઘટમાળ રોજની
તો ખાંડ નાખ સ્મિતની ને શરબતની વાત કર.
રેતી ઉપર લખેલ એ અક્ષર ઉડી જશે,
આતમ ઉપર જે કોતરી સંગતની વાત કર.
તું મળ મને એ રીતથી કે દેહ ના મળે,
છે ચાહતોથી દૂર એ ચાહતની વાત કર.
- પ્રજ્ઞેશ નાથાવત 'પગુ'