#MoralStories
અમરપટ્ટો
અત્યારે જ આપણા સિપાહીઓને તે મહાપુરુષ ને અહીંયા લાવવા માટે કહો.
રાજાએ તેમના પ્રધાનને આદેશ આપ્યો.
રાજાને એવું જાણવા મળ્યું હતું કે પોતાના રાજ્યની સરહદ પાસે આવેલા જંગલમાં કોઈ સાધુ મહારાજ આવેલા છે અને તેઓ અમરપટ્ટો જાણે છે.
હવે અમર થવાની વાત સાંભળીને રાજાને અમર થઈ જવાની લાલચ જાગી.
તેને થયું કે બીજો કોઈ રાજા તે સાધુ પાસે પહોંચે તેની પહેલાં હું ત્યાં પહોંચી જાવ અને અમર થઈ જાવ.
સિપાહીઓ તો નીકળી ગયા રાજાના આદેશનું પાલન કરવા માટે.
હવે આ તરફ તે રાજા તો દિવાસ્વપ્ન જોવા લાગ્યો કે હું અમર થઈ જઈશ તો કોઈ પણ મને મારી નહિ શકે.એક પછી એક એમ હું બધા યુદ્ધ જીતીશ અને સમગ્ર વિશ્વ પર મારું રાજ હશે.
આમ ને આમ એક સપ્તાહ પસાર થઈ ગયું.
તેના સિપાહીઓ પાછા ફર્યા. રાજાએ પૂછ્યું કે ક્યાં છે પેલા મહાપુરુષ તો એક સિપાહી એ કહ્યું કે માફ કરો રાજન અમે લોકો ત્યાં પહોંચીએ તેના એક દિવસ પહેલાજ તેઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
રાજાને તો બહુ ગુસ્સો આવ્યો તેઓને થયું કે માત્ર એક દિવસ મોડું થવાને લીધે તેઓ અમર ના થઈ શક્યા.
તેઓએ સિપાહીઓને કહ્યું કે તમારી બેદરકારી ને લીધે હું અમર થઈ શક્યો નથી તેથી તમને બધાને મોતની સજા મળશે.
સિપાહીઓ તો ધ્રુજવા લાગ્યા અને આશાભરી નજરે મંત્રી સામે જોયું.
મંત્રી ખુબજ સમજદાર હતા તેઓએ કહ્યું કે "રાજન જે વ્યક્તિ પોતાને અમર ના બનાવી શક્યો તે બીજાને શું અમર બનાવવાનો હતો."
મંત્રીના આ કથનથી રાજાની આંખો ખુલ્લી ગઈ તેને પોતાની ભૂલ સમજાઈ અને તેઓએ સિપાહીઓને માફ કરી દીધા.
મોરલ: આપણું પણ કંઇક આવું જ છે.ઘણી વખત આપણે પણ વધુ ધનની લાલચમાં અથવા તો બીજા કોઈ લાભ માટે ઢોંગી બાબાઓના કહેવામાં આવીને આપણા પરિવારને મુસીબત નાખીએ છીએ.તો ખોટી લાલચ રાખવી નહિ અને જે છે તેમાં ખુશ રહેવું જોઈએ.